ટીવીનાં એક ફોટા પર એની આંખો જડાઈ ગઈ .
“આ પ્રાજ્કતાનો અખિલ ખોવાયો હશે ?”
કોરીયાના ભૂકંપની માહિતી આપી રહેલી રિપોર્ટરનાં શબ્દો અખિલનાં કાનોમાં અથડાઈ રહ્યા હતા. શબ્દો સમજાય અવાજ તો અથડાય જ ને.
સુન્ન થઇ ગયેલો અખિલ ૧૯૯૩નાં સમયગાળામાં પહોંચી ગયો હતો.
બાબા અને આઈની પચીસમી લગ્નગાંઠ હજુ કાલે જ ઉજવી હતી પરિવાર ભેગો થયો હતો.
“અખિલ , હવે બીજો મોટો પ્રસંગ તારા સાખરપૂડાનો હશે.”
ખીલખીલાટ મશ્કરીઓ વચ્ચે એની નજર દૂર બેઠેલી પ્રાજ્કતા પર ગઈ.
ચાલમાં ત્રીજા ઘરમાં એ રહેતી. જાહેર શૌચાલય પાસે કે પાણીની લાઈનમાં આંખો ટકરાતી.
“તુ માલા આવડ્તેસ” સુધી પહોંચેલી એમની શબ્દયાત્રા આગળ વધી જ નહોતી. કાકુ અને આઈ તો મુલગીઓનું લીસ્ટ લઈને બેસી ગયા હતા.
‘બધા મહેમાન જાય પછી અશ્વિનીતાઈના કાને વાત નાખવી પડશે’ અખિલે નિર્ણય કરી લીધો.
એના હાથમાંથી રીમોટ ઝુંટવી સુલભાએ ટીવી બંધ કરી દીધું. “જે સમાચાર આપણને દુઃખી કરે એ ન જોવા.”
લાતુરનાં ભૂકંપ પછી અખિલને સુલભાનાં પરિવારે સાચવી લીધો. પછી લગ્ન અને સંસાર.
અખિલ આડો પડ્યો.
પ્રાજ્કતાનું મન ખોલે એ પહેલા આખો મહોલ્લો તૂટી પડ્યો હતો.
લંગડાતા અખિલે રાડો પાડી હતી. કાટમાળમાંથી નીકળેલી એ આઈબાબા સાથે જ ગઈ.
પાડોસીએ ખુલ્લા દરવાજામાંથી અવાજ કર્યો,“ટીવી જોયું ? તમારા લાતુર જેવું જ થયું છે.”
“મન હજુ કાટમાળ જ છે”, અખિલ બબડી ઉઠ્યો.
— નીવારોઝીન રાજકુમાર